પ્રજાભિમુખ વહીવટ માટે સતત પ્રયત્નશીલ : ગાંધીનગર જિલ્લા કલેકટર લોક ફરિયાદના નિવારણને પ્રાધાન્ય આપવા અનુરોધ
- 17 Feb, 2024
ગાંધીનગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર એમ. કે. દવેના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં ઉપસ્થિત જિલ્લાના અધિકારીઓને સંબોધતા જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે જિલ્લા પ્રશાસનમાં સેવારત અધિકારી-કર્મચારીઓએ પ્રજાભિમુખ વહીવટ માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. ખાસ કરીને લોક ફરિયાદના નિવારણને પ્રાધાન્ય આપવા તેમણે અનુરોધ પણ કર્યો હતો.
આ બેઠકમાં નિવૃત્ત થતા કર્મચારીના પેન્શન કેસમાં વિલંબ ન થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. આ ઉપરાંત ખાતાકીય વસૂલાત, તાબાની કચેરીઓની તપાસ, લોક ફરિયાદનું નિવારણ, માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત ઝડપી કાર્યવાહી કરવી તેમજ સાંસદ અને ધારાસભ્યઓની રજૂઆતો સંદર્ભે વિચાર વિમર્શ કરાયો હતો.
આ ઉપરાંત નાગરિક પુરવઠાની બેઠકમાં જિલ્લા કલેક્ટરએ નેશનલ ફૂડ સિક્યુરિટી, તેમજ આવશ્યક ચીજ વસ્તુઓ અને ફૂડ સેફટી સંદર્ભે કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી જરૂરતમંદ લોકોને પોષણયુક્ત આહાર સમયસર ઉપલબ્ધ થાય તે માટે ભારપૂર્વક જણાવ્યું હતું. જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ. કે. મોદી, નિવાસી અધિક કલેકટર ડી.કે બ્રહ્મભટ્ટ તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ